عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Believers [Al-Mumenoon] - Gujarati translation

Surah The Believers [Al-Mumenoon] Ayah 118 Location Maccah Number 23

૧. નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.

૨. જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે.

૩. જેઓ બકવાસ વાતોથી દૂર રહે છે.

૪. જેઓ ઝકાત આપતા રહે છે.

૫. જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે છે.

૬. પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી.

૭. જો આ સિવાય બીજો કોઈ તરીકો અપનાવશે તો આવા લોકો જ હદ વટાવી દેનાર છે.

૮. જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરે છે.

૯. જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે.

૧૦. આ જ લોકો વારસદાર છે.

૧૧. જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.

૧૨. નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું.

૧૩. પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું.

૧૪. પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે.

૧૫. ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો.

૧૬. પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે.

૧૭. અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી ગાફિલ નથી.

૧૮. અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ.

૧૯. તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેના દ્વારા તમને ઘણા પ્રકારના ફાળો મળે છ, તમે તેમાંથી જ ખાઓ છો.

૨૦. અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે.

૨૧. તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને (દૂધ) પીવડાવીએ છીએ અને તેમાં બીજા ઘણા ફાયદાઓ તમારા માટે છે, તેમાંથી કેટલાંકને તમે ખાઓ પણ છો.

૨૨. અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો.

૨૩. નિ:શંક અમે નૂહને તેમની કોમ તરફ પયગંબર બનાવી મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, શું તમે (તેનાથી) ડરતા નથી?

૨૪. તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, જે તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને ઉતારતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી.

૨૫. એ તો એક એવો વ્યક્તિ છે, જેને પાગલપણું છે, એટલા માટે થોડોક સમય હજુ રાહ જુઓ.(કદાચ તે ઠીક થઇ જાય.)

૨૬. નૂહએ દુઆ કરી, હે મારા પાલનહાર! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.

૨૭. તો અમે તેમની તરફ વહી કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, પછી જ્યારે (અઝાબ માટે) અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ (નર અને માદા) ને લઈ લો અને પોતાના ઘરવાળાઓને પણ આ હોડીમાં બેસાડી દો, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા નક્કી ગઇ છે, ખબરદાર જે લોકોએ જુલમ કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે.

૨૮. જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને જાલિમ લોકોથી છૂટકારો આપ્યો.

૨૯. અને (આ પણ) કહેજો કે હે મારા પાલનહાર! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે.

૩૦. ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે.

૩૧. ત્યાર પછી અમે એક બીજી કૌમનું સર્જન કર્યું.

૩૨. પછી તે લોકો માંથી પયગંબર મોકલ્યા, (જેણે તેમને કહ્યું) હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તમે કેમ ડરતા નથી?

૩૩. અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખિરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ એક મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તે પીવે છે.

૩૪. જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગશો, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બની જશો.

૩૫. શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો.

૩૬. આ વાત તો સમજની બહાર છે, જેનું તમને વચન આપવામાં આવે છે.

૩૭. (જીવન) તો ફક્ત દુનિયાનું જ જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને આપણે પાછા જીવિત કરવામાં નહીં આવીએ.

૩૮. આ તો બસ! એકએવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો ક્યારેય આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી.

૩૯. તે પયગંબરે દુઆ કરી કે હે પાલનહાર! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.

૪૦. અલ્લાહએ જવાબ આપ્યો કે આ લોકો થોડાક સમય પછી આ (પોતાના કર્મો) પર પસ્તાવો કરશે.

૪૧. છેવટે નિર્ણય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ! જાલિમ લોકો માટે દૂરી છે.

૪૨. ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું.

૪૩. ન તો કોઈ કોમ પોતાના સમય પહેલા ખત્મ થઈ અને ન તો પોતાના સમય પછી રોકાઈ છે.

૪૪. પછી અમે એક-પછી એક પયગંબરોને મોકલતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવતા તો તેઓ તેમને જુઠલાવ્તા હતા, તો અમે એક કોમ પછી એક કોમને નષ્ટ કરતા રહ્યા, અહી સુધી કે તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા.

૪૫. પછી અમે મૂસા અને તેમના ભાઇ હારૂનને મુઅજિઝહ અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.

૪૬. ફિરઔન અને તેના લશ્કરો તરફ. બસ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં.

૪૭. કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા જ બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ? જ્યારે કે તેમની આપણી ગુલામ છે.

૪૮. બસ! તે લોકોએ તે બન્નેને પણ જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલા લોકો માંથી થઇ ગયા.

૪૯. અમે મૂસાને કિતાબ (એટલા માટે) પણ આપી હતી, કે તેમના લોકો સત્ય માર્ગ પર આવી જાય.

૫૦. અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું.

૫૧. હે પયગંબરો! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું.

૫૨. નિ:શંક તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે, અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ! તમે મારાથી ડરતા રહો.

૫૩. પછી લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ, જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે.

૫૪. બસ! (હે પયગંબર) તમે તેમને ગફલત માટે થોડોક સમય આપી દો.

૫૫. શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમના ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે).

૫૬. તો અમે તેઓને ભલાઈ આપવામાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી,

૫૭. (ભલાઈ પામનાર) તે લોકો છે, જેઓ પોતાના પાલનહારના ભયથી ડરે છે,

૫૮. અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે,

૫૯. અને તેઓ પોતાના પાલનહાર સાથે કોઈને શરીક (ભાગીદાર) નથી બનાવતા.

૬૦. અને તે લોકો (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, અને જે કંઇ પણ તેઓ ખર્ચ કરે છે, તે સમયે તેમના હૃદય કાંપતા હોય છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે,

૬૧. આ જ તે લોકો છે, જેઓ નેકીના કામોમાં ઉતાવળ તેમજ એક બીજાથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરતા રહે છે.

૬૨. અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એક એવી કિતાબ છે, જે સત્ય વાત કરે છે અને તેમના પર સહેજ પણ જુલમ કરવામાં નહીં આવે.

૬૩. પરંતુ તેમના હૃદય આ વિશે ગાફેલ છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા (ખરાબ) કાર્યો છે, જેમને તેઓ કરી રહ્યા છે.

૬૪. ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને અઝાબમાં પકડી લઈશું, તો તે સમયે તેઓ ચીસો પાડી ફરિયાદ કરવા લાગશે.

૬૫. (અમે કહીશું) આજે ચીસો ન પાડશો, ખરેખર આજે અમારા તરફથી તમારી મદદ કરવામાં નહીં આવે.

૬૬. જ્યારે મારી આયતો તમારી સમક્ષ પઢવામાં આવતી તો તમે પોતાની એડીઓ પર ઊંધા ભાગતા હતાં.

૬૭. મારી આયતોને ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં,

૬૮. શું તે લોકોએ આ વાત વિશે ના વિચાર્યું? અથવા તેમની પાસે કોઈ એવી વાત આવી છે, જે તેમના પૂર્વજો પાસે નહતી આવતી.

૬૯. અથવા તે લોકોએ પોતાના પયગંબરને ઓળખ્યા જ નહિ, એટલા માટે તેઓ ઇન્કાર કરી રહ્યા છે.

૭૦. અથવા આ લોકો એમ કહે છે કે તેને પાગલપણું છે? પરંતુ તે તો તેમના માટે સત્ય વાત લઈને આવ્યો છે, હાં! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને પસંદ નથી કરતા.

૭૧. જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાત, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ (કુરઆન) પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.

૭૨. શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે.

૭૩. નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો.

૭૪. નિ:શંક જે લોકો આખિરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે.

૭૫. અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા.

૭૬. અને અમે તે લોકો પર અઝાબ આવ્યો, તો પણ તેઓ પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી.

૭૭. અહી સુધી કે અમે તેમના માટે સખત અઝાબનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા.

૭૮. તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, (જેથી તમે સાંભળો, જુઓ અને વિચાર કરો) પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો.

૭૯. અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો.

૮૦. અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી?

૮૧. પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.

૮૨. કહે છે કે જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા બની જઇશું, તો પણ અમને ફરીવાર ઉઠાવવામાં આવશે?

૮૩. અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે.

૮૪. (હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે? જણાવો જો તમે જાણતા હોય?

૮૫. તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા.

૮૬. પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે?

૮૭. તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી?

૮૮. સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો?

૮૯. આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે?

૯૦. ના (આ નવલકથા નથી) અમે તેમની સમક્ષ સાચી વાત પહોચાડી છે,અને આ લોકો ખરેખર જૂઠા છે.

૯૧. ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ ઇલાહ છે, જો એવી વાત હોત તો દરેક ઇલાહ પોતાના સર્જનને લઇને અલગ થઇ જાત અને દરેક એકબીજા પર ચઢી બેસતા, અલ્લાહ તે વાતોથી પાક છે, જે આ લોકો બયાન કરી રહ્યા છે.

૯૨. તે છૂપી અને જાહેર વાતોને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે ઉચ્ચ છે.

૯૩. (હે પયગંર)! તમે આ દુઆ કરો કે હે મારા પાલનહાર! જે અઝાબની ધમકી તે લોકોને આપવામાં આવી રહી છે, જો તે મારી હાજરીમાં આવી જાય,

૯૪. તો હે મારા પાલનહાર! તું મને તે જાલિમ જૂથમાં શામેલ ન કરીશ.

૯૫. અને જે અઝાબની ધમકી તેમને આપવામાં આવે રહી છે, તે અઝાબ તમને બતાવવા પર સપૂર્ણ સક્ષમ છે.

૯૬. તમે તેમના જવાબ આપતા એવી વાત કહો, જે ખૂબ જ સારી હોય, જે કઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ.

૯૭. અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું.

૯૮. હે પાલનહાર! અને એ વાતથી પણ હું તારી પાસે શરણ માગું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય.

૯૯. (આ લોકો પોતાના કામમાં લાગેલા રહેશે) ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચશે, તો કહેશે છે ક હે મારા પાલનહાર! મને (દુનિયામાં) પાછો મોકલી દે.

૧૦૦. જે દુનિયાનેને હું છોડીને આવ્યો ત્યાં જઈ નેક અમલ કરું, (અલ્લાહ તઆલા કહેશે) આવું ક્યારેય નહીં થઈ શકે, આ તો ફક્ત એક વાત જ છે, જે આ લોકો કહી રહ્યા છે, અને આ (મૃતકો) દરમિયાન ફરીવાર જીવિત થવા સુધી એક આડ હશે,

૧૦૧. પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે, તે દિવસે તેમની વચ્ચે કોઈ સંબંધ નહીં રહે, અને ન તો તે લોકો એકબીજાના હાલચાલ પૂછશે.

૧૦૨. તે દિવસે જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે.

૧૦૩. અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ જ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમમાં રહેશે.

૧૦૪. જહન્નમની આગ તેમના ચહેરાને ભષ્મ કરી દેશે,અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે.

૧૦૫. (તેમને કહેવામાં આવશે) શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી? તો પણ તમે તેને જુઠલાવતા હતાં.

૧૦૬. તેઓ કહેશે કે હે પાલનહાર! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે જ ગુમરાહ હતાં.

૧૦૭. હે અમારા પાલનહાર! અમને આ આગથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે જ જાલિમ હશું.

૧૦૮. અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો.

૧૦૯. (વાત એવી છે) કે જ્યારે મારા બંદાઓ માંથી કેટલાક એવું કહેતા કે હે અમારા પાલનહાર! અમને માફ કરી દે, અને અમારા પર રહમ કર, કારણકે તું જ સૌથી શ્રેષ્ઠ દયાળુ છે.

૧૧૦. (પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે મજાક ઉડાવતા રહ્યા.

૧૧૧. આજે મેં તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે અને તે જ સફળ થનાર લોકો હશે.

૧૧૨. અલ્લાહ તઆલા પૂછશે કે જણાવો તમે કેટલા વર્ષ જમીન પર રહ્યા?

૧૧૩. તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, અને આ વાત તો ગણતરી કરનારાઓને પણ પૂછી લો.

૧૧૪. અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ! કે આ વાત તમે આ પહેલા પણ જાણતા હોત.

૧૧૫. શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન બેકાર જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા નહીં આવો?

૧૧૬. અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે.

૧૧૭. જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા ઇલાહને પોકારશે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, આવા કાફિર ક્યારેય સફળ નહીં થાય.

૧૧૮. અને તમે અલ્લાહથી દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે.