The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Spider [Al-Ankaboot] - Gujarati translation
Surah The Spider [Al-Ankaboot] Ayah 69 Location Maccah Number 29
૧. અલિફ-લામ-મીમ્ [1]
૨. શું લોકોએ અનુમાન કરી રાખ્યું છે કે તેમના ફક્ત આ દાવા પર, કે અમે ઈમાન લાવ્યા છે, અમે તેમની કસોટી કર્યા વગર જ છોડી દઇશું?
૩. તેમનાથી પહેલાના લોકોને પણ અમે કસોટી કરી, ખરેખર અલ્લાહ તઆલા સાચા લોકોને પણ જાણી લેશે અને તેમને પણ, જે લોકો જુઠ્ઠા છે.
૪. શું જે લોકો દુષ્કર્મો કરી રહ્યા છે, તેમણે એવું સમજી રાખ્યું છે કે તેઓ અમારા કરતા આગળ વધી જશે. તેઓ અત્યંત ખરાબ ફેંસલો કરી રહ્યા છે.
مَن كَانَ يَرۡجُواْ لِقَآءَ ٱللَّهِ فَإِنَّ أَجَلَ ٱللَّهِ لَأٓتٖۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ [٥]
૫. જેને અલ્લાહ સાથે મુલાકાત કરવાની આશા હોય, બસ! અલ્લાહ તઆલાએ નક્કી કરેલ સમય જરૂર આવશે, તે બધું જ સાંભળવાવાળો અને બધું જ જાણવાવાળો છે.
૬. અને જે વ્યક્તિ જિહાદ કરશે તો તે પોતાના જ ફાયદા માટે જિહાદ કરી રહ્યો છે, અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.
૭. અને જે લોકો ઈમાન લાવ્યા અને તે લોકોએ સત્કાર્ય કરતા રહ્યા, અમે તેમના દરેક પાપોને તેમનાથી દૂર કરી દઇશું અને તેમને તેમના સત્કાર્યોનો શ્રેષ્ઠ બદલો આપીશું.
૮. અમે દરેક માનવીને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો, હાં! જો તેઓ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવવાનો આદેશ આપે, જેનું તમને જ્ઞાન નથી, તો તેમનું કહ્યું ન માનો. તમારે સૌએ મારી તરફ જ પાછા ફરવાનું છે, પછી હું તે દરેક વસ્તુની જાણ આપીશ જે તમે કરતા હતાં.
૯. અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને હું મારા સદાચારી બંદાઓમાં કરી દઇશ.
૧૦. અને કેટલાક લોકો એવા પણ છે કે, જે જબાનથી કહે છે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છે, પરંતુ જ્યારે તેને અલ્લાહના માર્ગમાં કોઈ પરેશાની આવી પહોંચે છે તો લોકોની આ તકલીફને અલ્લાહ તઆલાનો અઝાબ સમજી લે છે, (અને કાફિરો સાથે મળી જાય છે) હાં જો અલ્લાહની મદદ આવી જાય તો પોકારે છે કે અમે તો (દિલથી) તમારા જ મિત્રો છે. શું દુનિયાવાળાઓના હૃદયમાં જે કંઇ છે, તેને અલ્લાહ તઆલા જાણતો નથી?
૧૧. અલ્લાહ તઆલા જરૂર જોઈ રહ્યો છે કે ઈમાનવાળા કોણ છે અને મુનાફિક કોણ છે?
૧૨. અને કાફિર ઈમાનવાળાઓને કહે છે કે તમે અમારા માર્ગનું અનુસરણ કરો તો તમારા પાપો અમે ઉઠાવી લઇશું, જો કે બીજાના પાપના ભાગ માંથી કંઇ પણ ભાર નહીં ઉઠાવે, આ તો જુઠ્ઠા લોકો છે.
૧૩. આ લોકો પોતાનો (ગુનાહોનો) ભાર ઉઠાવી લેશે અને બીજાનાં ભાર પણ ઉઠાવશે (જે લોકોને તેઓએ ગુમરાહ કર્યા હતા), અને જે કંઇ જૂઠાણું ઘડી રહ્યા છે, તે સૌને તેના વિશે પૂછતાછ કરવામાં આવશે.
૧૪. અને અમે નૂહને તેમની કોમ પાસે મોકલ્યા, તે તેમની સાથે નવસો પચાસ વર્ષ રહ્યા, પછી તે લોકોને વાવાઝોડાએ પકડી લીધા અને તે લોકો જાલિમ હતાં.
૧૫. પછી અમે નૂહને અને હોડીવાળાઓને બચાવી લીધા અને આ કિસ્સાને અમે સમગ્ર સૃષ્ટિના લોકો માટે નિશાની બનાવી દીધી.
૧૬. અને ઇબ્રાહીમનો (કિસ્સો પણ યાદ કરો) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની બંદગી કરો અને તેનાથી ડરતા રહો, જો તમારામાં બુદ્ધિ હોય તો આ જ તમારા માટે ઉત્તમ છે.
૧૭. તમે અલ્લાહ સિવાય મૂર્તિઓની પૂજા કરી રહ્યા છો અને જુઠ્ઠી વાતો ઊપજાવી કાઢો છો, સાંભળો! જે લોકોની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, તેઓ તમારી રોજીના માલિક નથી, બસ! તમે ફક્ત અલ્લાહ પાસે રોજી માંગો અને તેની જ બંદગી કરો અને તેનો જ આભાર માનો અને તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે.
૧૮. અને જો તમે જુઠલાવતા હોય તો તમારા પહેલાની કોમોએ પણ (પોતાના પયગંબરને) જુઠલાવી ચુક્યા છે, પયગંબરની જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
૧૯. શું તે લોકોએ જોતા નથી કે અલ્લાહએ સર્જનોની શરૂઆત કેવી રીતે કરી? પછી અલ્લાહ તેને ફરી વાર કરશે, આ તો અલ્લાહ માટે ખૂબ જ સરળ છે.
૨૦. તમે તેમને કહી દો કે ધરતી પર હરીફરીને જુઓ તો ખરા કે કેવી રીતે અલ્લાહ તઆલાએ શરૂઆતમાં સર્જન કર્યું, પછી અલ્લાહ તઆલા જ નવું સર્જન કરશે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
૨૧. જેને ઇચ્છે, તેને અઝાબ આપે અને જેના પર ઇચ્છે કૃપા કરે, સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશે.
૨૨. તમે અલ્લાહને ન તો ધરતીમાં અસમર્થ કરી શકો છો અને ન તો આકાશમાં, અલ્લાહ તઆલા સિવાય કોઈ તમારો વાલી નથી અને ન મદદ કરનાર.
૨૩. જે લોકોએ અલ્લાહની આયતો અને તેની મુલાકાતને ભૂલી જાય છે, તેઓ મારી રહેમતથી નિરાશ થઇ જાય છે અને તેમના માટે દુ:ખદાયી અઝાબ હશે.
૨૪. ઇબ્રાહીમની કોમનો જવાબ આ સિવાય કંઇ ન હતો, તેઓ કહેવા લાગ્યા આને મારી નાખો અથવા આને સળગાવી દો, છેવટે અલ્લાહએ તેમને આગથી બચાવી લીધા, આમાં ઈમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૨૫. (ઇબ્રાહીમે) કહ્યું કે તમે જે મૂર્તિઓની પૂજા અલ્લાહ સિવાય કરી છે, તમે લોકોએ તેમને દુનિયાના ફાયદાના કારણે મિત્ર બનાવ્યા, પરંતુ કયામતના દિવસે એકબીજાનો ઇન્કાર કરવા લાગશો અને એકબીજા પર લઅનત કરશો અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ હશે અને તમારી મદદ કરનાર કોઈ નહીં હોય.
૨૬. બસ! ઇબ્રાહીમ પર, લૂત ઈમાન લઈ લાવ્યા અને ઇબ્રાહીમ કહેવા લાગ્યા કે હું મારા પાલનહાર તરફ હિજરત કરવાવાળો છું, તે ઘણો જ પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
૨૭. અને અમે તેમને ઇસ્હાક અને યાકૂબ આપ્યા અને અમે તેમના સંતાનમાં પયગંબરી અને કિતાબ મૂકી દીધી અને અમે દુનિયામાં પણ તેમને બદલો આપ્યો અને આખિરતમાં તો તેઓ સદાચારી લોકો માંથી છે.
૨૮. અને લૂતનો (કિસ્સો યાદ કરો) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે તમે તો તે ખરાબ કૃત્ય કરી રહ્યા છો, જે તમારાથી પહેલા દુનિયામાં કોઈએ કર્યું ન હતું.
૨૯. શું તમે પુરુષો સાથે ખરાબ કાર્ય કરવા માટે આવો છો અને લૂંટફાટ કરો છો અને પોતાની મજલિસોમાં અશ્લીલ કાર્યો કરો છો. તેમની કોમનો જવાબ હતો કે જો તું સાચો હોય તો અમારી પાસે અલ્લાહનો અઝાબ લઇને આવ.
૩૦. લૂતે દુઆ કરી કે પાલનહાર! આ વિદ્રોહી કોમ પર મારી મદદ કર.
૩૧. અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ઈસ્હાકની ખુશખબરી લઇને આવ્યા, તો કહેવા લાગ્યા કે અમે આ વસ્તીવાળાઓ (સુદૂમ)ને નષ્ટ કરવાના છે, નિ:શંક અહીંયા રહેનારા જાલિમ લોકો છે.
૩૨. (ઇબ્રાહીમે) કહ્યું, ત્યાં તો લૂત પણ છે, ફરિશ્તાઓએ કહ્યું અમે સારી રીએતે જાણીએ છીએ કે ત્યાં કોણ કોણ છે, અમે લૂત અને તેમના કુટુંબીજનોને બચાવી લઇશું, તેમની પત્ની સિવાય, જો કે તે સ્ત્રી પાછળ રહી જનારા લોકો માંથી રહી જશે.
૩૩. પછી જ્યારે અમારા સંદેશવાહક (ફરિશ્તાઓ) લૂત પાસે પહોંચ્યા તો, (લૂત) તેમનાથી દુ:ખી થયા અને અંદર જ અંદર નિરાશ થવા લાગ્યા, સંદેશવાહકોએ કહ્યું કે તમે ન ડરો, ન તો નિરાશ થાવ, અમે તમને અને તમારા ઘરવાળાઓને બચાવી લઇશું, પરંતુ તમારી પત્ની સિવાય, તે અઝાબ માટે બાકી રહેનારા લોકો માંથી થઇ જશે.
૩૪. અમે આ વસ્તીવાળાઓ પર આકાશ માંથી અઝાબ ઉતારીશું, એટલા માટે કે આ લોકો અવજ્ઞા કરી રહ્યા છે.
૩૫. જો કે અમે આ વસ્તીની ખુલ્લી નિશાનીઓ છોડી દીધી છે,તે લોકો માટે જેઓ બુદ્ધિ ધરાવે છે.
૩૬. અને “મદયન” તરફ અમે તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, કયામતના દિવસ પર વિશ્વાસ ધરાવો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો.
૩૭. તો પણ તે લોકોએ તેમને જુઠલાવ્યા, છેવટે તેમને ધરતીકંપે પકડી લીધા. અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા મોઢે મૃત્યુ પામ્યા.
૩૮. અમે આદ અને ષમૂદની કોમને પણ અમે (નષ્ટ કર્યા), અને આ વાત તેમના રહેઠાણ દ્વારા સ્પષ્ટ થઇ ગઈ છે અને શેતાને તેમના ખરાબ કૃત્યોને શણગારીને બતાવ્યા હતા અને તેમના માર્ગથી રોકી દીધા હતાં, જો કે તે સમજદાર લોકો હતા.
૩૯. કારૂન, ફિરઔન અને હામાનને પણ (અમે નષ્ટ કર્યા), તેમની પાસે મૂસા સ્પષ્ટ મુઅજિઝા લઇને આવ્યા હતાં, તો પણ તે લોકોએ ધરતી પર ઘમંડ કર્યો, પરંતુ તેઓ અમારા કરતા આગળ ન વધી શક્યા.
૪૦. તેમના માંથી દરેકને અમે તેમના અપરાધના કારણે પકડી લીધા, તેમના માંથી કેટલાક પર અમે પથ્થરોનો વરસાદ વરસાવ્યો અને તેમના માંથી કેટલાકને સખત ચીસે પકડી લીધા અને તેમના માંથી કેટલાકને અમે ધરતીમાં ધસાવી દીધા અને તેમના માંથી કેટલાકને અમે ડુબાડી દીધા, અલ્લાહ તઆલા તેમના પર જુલમ કરવાવાળો નથી, પરંતુ તેઓ પોતે જ પોતાના પર જુલમ કરી રહ્યા હતાં.
૪૧. જે લોકોએ અલ્લાહ તઆલા સિવાય બીજા ભાગીદારો ઠેરાવી રાખ્યા છે, તેમનું ઉદાહરણ કરોળિયા જેવું છે, જેણે પોતાનું ઘર બનાવ્યું હોય, જો કે દરેક ઘરો કરતા નબળું ઘર કરોળિયાનું છે, કાશ! કે તેઓ જાણી લેતા.
૪૨. આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અલ્લાહ સારી રીતે જાણે છે, તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
૪૩. અમે આ ઉદાહરણો લોકોને સમજાવવા માટે વર્ણન કરીએ છીએ, પરંતુ તેને ફક્ત જ્ઞાની લોકો સમજે છે.
૪૪. અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું છે, ઈમાનવાળાઓ માટે આમાં ઘણી નીશાનીઓ છે.
૪૫. (હે નબી!) જે કિતાબ તમારી તરફ વહી કરવામાં આવી છે, તેને પઢો અને નમાઝ પઢતા રહો, નિ:શંક નમાઝ ખરાબ કાર્યો અને અપરાધ કરવાથી રોકે છે, નિ:શંક અલ્લાહનો ઝિકર ખૂબ જ મોટું કાર્ય છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.
૪૬. (હે મુસલમાનો!) અહલે કિતાબ સાથે ઝઘડો ન કરો, પરંતુ ઉત્તમ રીતે, અને તેમની સાથે જ ઝઘડો કરો જેઓ અન્યાય કરી રહ્યા છે, અને તેમને સ્પષ્ટ રીતે કહી દો કે અમે તે કિતાબ ઉપર પણ ઈમાન ધરાવીએ છીએ જે અમારા માટે ઉતારવામાં આવી છે અને તે કિતાબ ઉપર પણ, જે તમારા માટે ઉતારવામાં આવી છે. અમારો અને તમારો ઇલાહ એક જ છે, અમે સૌ તેની જ આજ્ઞાનું પાલન કરીએ છીએ.
૪૭. અને (હે નબી!) અમે આવી જ રીતે તમારી તરફ આ કિતાબ (કુરઆન) ઉતારી છે, તેના પર તે લોકો ઈમાન ધરાવે છે, જેમને અમે પહેલા કિતાબ આપી હતી, અને તે (મક્કાના લોકો) માંથી કેટલાક ઈમાન લાવે છે અને અમારી આયતોનો ઇન્કાર ફક્ત કાફિરો જ કરતા હોય છે.
૪૮. અને (હે નબી!) આ પહેલા તમે કોઇ કિતાબ પઢી શકતા ન હતા અને ન કોઇ કિતાબને પોતાના હાથ વડે લખી શકતા હતા, જો આ પ્રમાણે હોત તો બાતિલ લોકો શંકા કરતા હોત.
૪૯. પરંતુ આ (કુરઆનમાં) તો પ્રકાશિત આયતો છે, જે જ્ઞાની લોકોના હૃદયોમાં સુરક્ષિત છે, અમારી આયતોનો ઇન્કાર કરનાર અન્યાયી સિવાય બીજા કોઇ નથી.
૫૦. તે લોકો કહે છે કે આ (નબી) પર કોઇ મુઅજિઝો તેના પાલનહાર તરફથી ઉતારવામાં કેમ નથી આવ્યો? તમે તેમને કહી દો કે દરેક મુઅજિઝો અલ્લાહ પાસે જ છે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરી દેનાર છું.
૫૧. શું આ લોકો માટે પૂરતું નથી કે અમે તમારા પર આ કિતાબ ઉતારી છે, જે તેમની સમક્ષ પઢવામાં આવે છે, તેમાં ઈમાનવાળાઓ માટે રહેમત અને શિખામણ છે.
૫૨. તમે તેમને કહી દો કે મારી અને તમારી વચ્ચે સાક્ષી માટે અલ્લાહ પૂરતો છે, તે આકાશ અને ધરતીની દરેક વસ્તુને જાણે છે, જે લોકો અસત્યને માને છે અને અલ્લાહનો ઇન્કાર કરે છે, તે જબરદસ્ત નુકસાન ઉઠાવનારા છે.
૫૩. આ લોકો તમારી સામે અઝાબ માટે ઉતાવળ કરી રહ્યા છે, જો મારા તરફથી નક્કી કરેલ સમય ન હોત તો અત્યાર સુધી તો તેમની પાસે અઝાબ આવી પહોંચ્યો હોત, આ ચોક્કસ વાત છે કે અચાનક તેમની જાણ વગર અઝાબ આવી પહોંચશે.
૫૪. આ લોકો અઝાબ માટે ઉતાવળ કરી રહ્યા છે, જો કે જહન્નમે કાફિરોને ઘેરી લીધા છે.
૫૫. તેમના પર જે દિવસે અઝાબ આવીએ જશે અને પગની નીચેથી પણ અને અલ્લાહ તઆલા કહેશે કે હવે પોતાના કાર્યોનો સ્વાદ ચાખો.
૫૬. હે મારા ઈમાનવાળા બંદાઓ! (જો તમારા માટે મક્કાની ધરતી તંગ થઇ ગઈ હોય તો) મારી ધરતી ઘણી વિશાળ છે, તમે મારી જ બંદગી કરો.
૫૭. દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે અને તમે સૌ અમારી તરફ જ પાછા આવશો.
૫૮. અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને અમે ખરેખર જન્નતના તે ઊંચા સ્થાને જગ્યા આપીશું, જેની નીચે ઝરણા વહી રહ્યા છે. જ્યાં તેઓ હંમેશા રહેશે. કામ કરવાવાળાઓનો કેવો સારો બદલો છે.
૫૯. તે લોકો માટે, જેઓ (મુસીબત પર) સબર કરે છે અને પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.
૬૦. અને ઘણા જાનવરો છે, જેઓ પોતાની રોજી ઉઠાવીને ફરતા નથી, તે બધાને અને તમને પણ અલ્લાહ તઆલા જ રોજી આપે છે. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાવાળો છે.
૬૧. અને જો તમે તેમને સવાલ કરો કે ધરતી અને આકાશનું સર્જન કરનાર અને સૂર્ય અને ચંદ્રને કામ પર લગાવનાર કોણ છે? તો તેમનો જવાબ હશે, “અલ્લાહ તઆલા” પછી ક્યાં ઊંધા જઇ રહ્યા છે.
૬૨. અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેને ઇચ્છે તેને તંગ કરી દે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુને સારી રીતે જાણવાવાવાળો છે.
૬૩. અને જો તમે તે લોકોને પૂછો કે આકાશ માંથી પાણી ઉતારી, નિષ્પ્રાણ ધરતીને જીવિત કોણે કરી? તો ખરેખર તે લોકોનો જવાબ આ જ હશે કે “અલ્લાહ”. તમે કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે. પરંતુ તેમાંથી ઘણા લોકો સમજતા નથી.
૬૪. અને દુનિયાનું આ જીવન તો ફક્ત મોજ મસ્તી છે. જો કે આખિરતનું જીવન જ હંમેશાવાળું છે. કદાચ! આ લોકો જાણતા હોત.
૬૫. પછી જ્યારે આ લોકો હોડીમાં સવારી કરે છે, તો નિખાલસતા સાથે અલ્લાહ તઆલાને જ પોકારે છે, પછી જ્યારે તે (અલ્લાહ) તેમને બચાવી ધરતી પર લઈ આવે છે તો તરત જ અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવવા લાગે છે.
૬૬. જેથી અમારી આપેલી નેઅમતોનો ઇન્કાર કરે અને ફાયદો ઉઠાવતા રહે, નજીક માંજ તેમને (તેમનું પરિણામ) ખબર પડી જશે.
૬૭. શું આ લોકો નથી જોતા કે અમે હરમ (મક્કા શહેર)ને શાંતિવાળું બનાવી દીધું છે, જો કે તેની આસ-પાસના લોકો અશાંત છે, તો પણ આ લોકો અસત્યને તો માને છે અને અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કરે છે.
૬૮. અને તેના કરતા વધારે જાલિમ કોણ હોઇ શકે જે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધે, અથવા જ્યારે તેની પાસે સત્ય આવી જાય તો તેનો ઇન્કાર કરે, શું આવા ઇન્કાર કરનારાઓનું ઠેકાણું જહન્નમ નહીં હોય?
૬૯. અને જે લોકો અમારા માર્ગમાં તકલીફો સહન કરે છે, અમે તેમને અમારા માર્ગ જરૂર બતાવીશું, નિ:શંક અલ્લાહ તઆલા સદાચારી લોકોનો મિત્ર છે.