عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Coalition [Al-Ahzab] - Gujarati translation

Surah The Coalition [Al-Ahzab] Ayah 73 Location Maccah Number 33

૧. હે પયગંબર! અલ્લાહ તઆલાથી ડરતા રહેજો અને કાફિરો તેમજ મુનાફિક લોકોનું કહ્યું ન માનશો, અલ્લાહ તઆલા ખૂબ જ જ્ઞાની અને હિકમતવાળો છે.

૨. જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી વહી કરવામાં આવે છે, તેનું અનુસરણ કરો, નિ:શંક અલ્લાહ તમારા દરેક કાર્યોને જાણે છે.

૩. તમે અલ્લાહ પર જ ભરોસો કરો, તે કારસાજ હોવા પર પૂરતો છે.

૪. કોઇ માનવીના હૃદયમાં અલ્લાહએ બે હૃદય નથી મૂક્યા અને પોતાની જે પત્નીઓને તમે “મા” કહી છે, તેણીઓને અલ્લાહએ તમારી માતાઓ નથી બનાવી અને ન તમારા માટે દત્તક બાળકોને તમારા પુત્રો બનાવ્યા, આ તો તમારી પોતાની વાતો છે, અલ્લાહ તઆલા સત્ય વાત કહે છે અને તે સત્ય માર્ગ બતાવે છે.

૫. દત્તક બાળકોને તેમના (સાચા) પિતાના નામથી પોકારો, અલ્લાહની નજીક ખરી વાત આ જ છે, પછી જો તમને તેમના પિતા વિશે જાણ ન હોય, તો તેઓ તમારા ધાર્મિકભાઇ અને મિત્રો છે, તમારાથી ભૂલથી જે કંઈ થઇ જાય, તેના પર તમારા માટે કંઈ ગુનો નથી, હાં! પાપ તે છે, જેનો ઇરાદો તમે દિલથી કરો. અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.

૬. પયગંબર, ઈમાનવાળાઓ કરતા વધારે અધિકાર ધરાવે છે અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતા છે અને અલ્લાહની કિતાબ પ્રમાણે બીજા ઈમાનવાળા અને હિજરત કરનાર લોકો કરતા કુટુંબીજનો (વારસાનો) વધારે અધિકાર ધરાવે છે, પરંતુ એ કે તમે પોતાના મિત્રો સાથે સદવર્તન કરવા ઇચ્છો (તો કરી શકો છો), અલ્લાહની કિતાબમાં આ પ્રમાણે જ લખેલું છે.

૭. અને (હે પયગંબર) તે વચનને યાદ રાખો, જે વચન અમે દરેક પયગંબરો પાસેથી લીધું અને તમારી પાસેથી પણ અને નૂહ, ઇબ્રાહીમ, મૂસા, અને ઈસા બિન મરયમ પાસેથી પણ અમે મજબૂત વચન લીધું હતું.

૮. જેથી અલ્લાહ તઆલા સાચા લોકોને તેમની સત્યતા અંગે પૂછતાછ કરે અને કાફિરો માટે અમે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.

૯. હે ઈમાનવાળાઓ! અલ્લાહ તઆલાના તેઉપકારને યાદ કરો, જ્યારે તમારી સાથે યુદ્ધ કરવા માટે લશ્કરોના લશ્કર આવ્યા, પછી અમે તેમના પર સખત વાવાઝોડું અને એવા લશ્કરો મોકલ્યા, જેમને તમે જોયા જ નથી અને જે કંઈ તમે કરી રહ્યા હતા અલ્લાહ તેને જોઈ રહ્યો હતો.

૧૦. જ્યારે તેઓ તમારા પર ઉપર અને નીચેથી ચઢાઇ કરી રહ્યા હતા અને જ્યારે આંખો પથરાઇ ગઇ અને કાળજાં મોઢામાં આવી ગયા હતા અને તમે અલ્લાહ તઆલા વિશે અનુમાન કરવા લાગ્યા હતા.

૧૧. તે સમયે ઈમાનવાળાઓની કસોટી કરવામાં આવી અને સંપૂર્ણ રીતે હચમચાવી નાંખવામાં આવ્યા.

૧૨. અને મુનાફિક અને જેમના હૃદયોમાં રોગ હતો, કહેવા લાગ્યા, અલ્લાહ તઆલા અને પયગંબરે અમારી સાથે ફક્ત ધોકાનું જ વચન કર્યું હતું.

૧૩. તેમના જ એક જૂથે વાત ફેલાવી કે હે મદીનાવાળાઓ! આજે તમારા માટે કોઈ ઠેકાણું નથી, પાછા ફરી જાવ અને તેમના એકબીજા જૂથે એવું કહી પયગંબર પાસે પરવાનગી માંગી કે અમારા ઘર સુરક્ષિત નથી, જો કે તેમના ઘર સુરક્ષિત હતા, (પરંતુ) તેમનો ઇરાદો (યુદ્વથી) ભાગી જવાનો હતો.

૧૪. અને જો મદીનાની આજુબાજુથી તેમના પર (લશ્કર) ચઢાઇ કરતા, પછી તેમને વિદ્રોહ કરવા માટે બોલાવવામાં આવતા તો આ મુનાફિક લોકો જરૂર વિદ્રોહ કરતા અને થોડોક સમય જ લડાઇ કરતા.

૧૫. આ પહેલા તે લોકોએ અલ્લાહને વચન આપ્યું હતું કે તેઓ પીઠ નહીં ફેરવે અને અલ્લાહ તઆલા સાથે કરેલા વચનની પૂછતાછ જરૂર થશે.

૧૬. (હે પયગંબર) તમે તેમને કહી દો કે ભલેને તમે મૃત્યુથી અથવા કતલ થવાના ભયથી ભાગો, તો આ ભાગી જવું તમારા માટે કંઈ કામ નહીં આવે અને તે સમયે તમે થોડોક જ ફાયદો મેળવશો.

૧૭. તમે તેમને પૂછો કે જો અલ્લાહ તઆલા તમને કોઇ તકલીફ આપવા ઇચ્છે, તો કોણ છે જે તમને તેનાથી બચાવી શકે? અથવા તમારા પર કોઇ કૃપા કરવા ઇચ્છે, (તો કોણ છે, જે તેમે રોકી શકે છે?) પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર અથવા મિત્ર નહીં જુઓ.

૧૮. અલ્લાહ તઆલા તમારા માંથી (જિહાદથી રોકનારને) ખૂબ (સારી રીતે) જાણે છે, અને તે લોકોને પણ, જે પોતાના મિત્રોને કહે છે કે અમારી પાસે આવી જાવ અને જિહાદમાં થોડોક જ ભાગ ભજવે છે.

૧૯. તેઓ તમારી મદદ કરવા માટે કંજુસાઇ કરે છે, પછી જ્યારે ભય અને ડરની સ્થિતિ આવી પહોંચે, તો તમે તેમને જોશો કે તેઓ તમારી તરફ એવી રીતે જુએ છે, જેવું કે કોઈના પર મૃત્યુનો ભય છવાયેલો હોય, પછી જ્યારે ભય હઠી જાય છે તો તમારા માટે પોતાની સખત જબાનોથી વાતો બનાવે છે, માલના ઘણા જ લાલચી છે, આ લોકો ઈમાન લાવ્યા જ નથી, અલ્લાહ તઆલાએ તેમના દરેક કાર્યો વ્યર્થ કરી દીધા છે અને અલ્લાહ તઆલા માટે આ ઘણું જ સરળ છે.

૨૦. સમજે છે કે હજુ સુધી લશ્કરો ગયા નથી અને જો આ લશ્કર આવી જાય તો આશા કરે છે કે કદાચ! તેઓ રેગીસ્તાનમાં ગ્રામીણ લોકો સાથે રહેતા હોત, જેથી તમારી ખબરો પૂછતા હોત, જો તેઓ તમારામાં હાજર હોત તો પણ જિહાદમાં થોડોક જ ભાગ ભજવતા.

૨૧. (મુસલમાનો) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે, તે દરેક વ્યક્તિ માટે, જેઓ અલ્લાહ તઆલા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતપ હોય અને અલ્લાહને ખૂબ યાદ કરતો હોય.

૨૨. અને ઈમાનવાળાઓએ જ્યારે લશ્કરોને જોયા, તો (તરત જ) કહેવા લાગ્યા કે આ તો તે જ વાત છે, જેનું વચન અમને અલ્લાહએ અને તેના રસૂલે આપ્યું હતું, અને આ સ્થિતિએ તેમના ઈમાન અને અનુસરણમાં વધારો કરી દીધો.

૨૩. ઈમાનવાળાઓમાં કેટલાક એવા લોકો પણ છે, જેમણે અલ્લાહ સાથે જે વચન કર્યું હતું, તેને સાચું કરી બતાવ્યું, તેમના માંથી કોઈએ પોતાનું વચન પૂરું કરી દીધું અને કેટલાક રાહ જોઇ રહ્યા છે અને તે લોકોએ પોતાના વચનમાં કોઇ ફેરફાર નથી કર્યો.

૨૪. (આ બધું એટલા માટે છે) જેથી અલ્લાહ તઆલા સાચા લોકોને તેમની સત્યતાનો બદલો આપે અને જો ઇચ્છે તો મુનાફિક લોકોને સજા આપે અથવા તેમની તૌબા કબૂલ કરે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરવાવાળો, અત્યંત દયાળુ છે.

૨૫. અને અલ્લાહ તઆલાએ કાફિરોના લશ્કરોને ગુસ્સા સાથે પાછા મોકલી દીધા, તે લોકોને કંઈ ફાયદો ન પહોંચ્યો અને તે યુદ્ધમાં અલ્લાહ તઆલા પોતે જ ઈમાનવાળાઓ માટે પૂરતો થઇ ગયો, અલ્લાહ તઆલા ઘણો જ શક્તિશાળી અને વિજયી છે.

૨૬. અને અહેલે કિતાબના જે લોકોએ કાફિરોની મદદ કરી હતી, તેમને (પણ) અલ્લાહએ તેમના કિલ્લાઓ માંથી કાઢી મૂક્યા અને તેમના હૃદયોમાં ભય નાંખી દીધો કે તમે તેમના એક જૂથને કતલ કરી રહ્યા હતા અને એક જૂથને કેદી બનાવી રહ્યા હતા.

૨૭. અને તેણે તમને તેમની જમીનોના, તેમના ઘરોના અને તેમના માલના વારસદાર બનાવી દીધા અને તે ધરતીના પણ, જેને તમારા પગે કચડી ન હતી, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

૨૮. હે નબી! પોતાની પત્નીઓને કહી દો કે જો તમે દુનિયાના જીવન અને તેનો શણગાર ઇચ્છતી હોય તો આવો, હું તમને કંઈ આપી દઉં અને તમને સારી રીતે છોડી દઉં.

૨૯. અને જો તમે અલ્લાહ અને તેનો પયગંબર અને આખિરતનું ઘર ઇચ્છતી હોય, તો તમારા માંથી સત્કાર્યો કરનાર માટે અલ્લાહએ જબરદસ્ત વળતર રાખ્યું છે.

૩૦. હે પયગંબરની પત્નીઓ! તમારા માંથી જે કોઈ અશ્લીલ કૃત્ય કરશે, તેને બમણી સજા આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ખૂબ જ સરળ છે.

૩૧. અને તમારા માંથી જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે અને સત્કાર્યો કરશે તો અમે તેને વળતર (પણ) બમણું આપીશું અને તેમના માટે અમે શ્રેષ્ઠ રોજી તૈયાર કરી રાખી છે.

૩૨. હે પયગંબરની પત્નીઓ! તમે સામાન્ય સ્ત્રીઓ જેવી નથી, જો તમે અલ્લાહથી ડરતા હોય, તો (કોઈ નાં મહારમ સાથે) નમ્રતાથી વાત ન કરો, નહીં તો જેના હૃદયમાં રોગ હશે,તે ખોટા વિચારો કરવા લાગ્શે, સ્પષ્ટ અને સીધી વાત કહો.

૩૩. અને પોતાના ઘરોમાં જ રહો અને અજ્ઞાનતાના સમયની જેમ પોતાનો શણગારનો દેખાડો કરતા ન ફરો અને નમાઝ પઢતી રહો અને ઝકાત આપતી રહો અને અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરો, હે અહલે બૈત (પયગંબરના ઘરવાળાઓ)! અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારાથી નાપાકીને દૂર કરી દે અને તમને પાક સાફ બનાવી દે.

૩૪. અને તમારા ઘરોમાં અલ્લાહની જે આયતો અને પયગંબરની જે હદીષો (વાતો) પઢવામાં આવે છે, તેને યાદ રાખો, ખરેખર અલ્લાહ તઆલા સૂક્ષ્મ દૃષ્ટિવાળો, જાણવાવાળો છે.

૩૫. નિ:શંક મુસલમાન પુરુષ અને સ્ત્રીઓ, ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓ, આજ્ઞાકારી પુરુષ અને સ્ત્રીઓ, સાચું બોલનાર પુરુષ અને સ્ત્રીઓ, સબર કરનાર પુરુષ અને સ્ત્રીઓ, આજીજી કરનારા પુરુષ અને સ્ત્રીઓ, સદકો કરનારા પુરુષ અને સ્ત્રીઓ, રોઝો રાખનારા પુરુષ અને સ્ત્રીઓ, પોતાના ગુપ્તાંગની હિફાજત કરનાર પુરુષ અને સ્ત્રીઓ અને અલ્લાહને વધુ યાદ કરનાર પુરુષ અને સ્ત્રીઓ, આ (બધા) માટે અલ્લાહ તઆલાએ માફી અને ખૂબ જ મોટું વળતર તૈયાર કરી રાખ્યું છે.

૩૬. અને કોઇ મોમિન પુરુષ અને મોમિન સ્ત્રીને અલ્લાહ અને તેના પયગંબરના નિર્ણય પછી પોતાના કોઇ કાર્યમાં અધિકાર રહેતો નથી, (યાદ રાખો) અલ્લાહ અને તેના પયગંબરની જે પણ અવજ્ઞા કરશે, તે સ્પષ્ટ ગુમરાહીમાં પડી જશે.

૩૭. અને જ્યારે તમે તે વ્યક્તિને, જેના પર અલ્લાહએ એહસાન કર્યો હતો અને તમે પણ,કહી રહ્યા હતા કે તું પોતાની પત્નીને પોતાની પાસે જ રાખ અને અલ્લાહ થી ડર અને તમે પોતાના હૃદયમાં તે વાત છૂપી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો,તમે લોકોથી ડરી રહ્યા હતા, જો કે અલ્લાહ તઆલા તેનો વધારે અધિકાર ધરાવે છે કે તમે તેનાથી ડરો, બસ! જ્યારે ઝૈદે તે સ્ત્રી સાથે છૂટાછેડા લઇ લીધા, પછી અમે તે સ્ત્રીનું લગ્ન તમારી સાથે કરાવી દીધું, જેથી મુસલમાનો માટે પોતાના દત્તક લીધેલ બાળકોની પત્નીઓ વિશે કોઇ પ્રકારની શંકા ન રહે, જ્યારે તેઓ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હોય, અલ્લાહનો આ આદેશ પૂરો થઇને જ રહેતો.

૩૮. જે વાત અલ્લાહ તઆલાએ પયગંબર માટે નક્કી કરી દીધી છે, તેમાં પયગંબરને કોઇ વાંધો નથી, આ જ અલ્લાહની સુન્નત છે, જે તે નબીઓમાં પણ હતી, જેઓ તમારા કરતા પહેલા હતા, અને અલ્લાહ તઆલાના કાર્યોને હિકમત પ્રમાણે નક્કી હોય છે.

૩૯. જે લોકો અલ્લાહના આદેશો પહોંચાડતા હતા અને અલ્લાહથી જ ડરતા હતા અને અલ્લાહ સિવાય કોઇનાથી ડરતા ન હતા અને અલ્લાહ તઆલા હિસાબ લેવા માટે પૂરતો છે.

૪૦. (હે લોકો!) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે અને ખાતમુન્ નબીય્યીન્ (પયગંબરોમાં છેલ્લા નબી) છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને સારી રીતે જાણે છે.

૪૧. મુસલમાનો! અલ્લાહને વધુમાં વધુ યાદ કરતા રહો.

૪૨. અને સવાર-સાંજ તેની તસ્બીહ કરતા રહો.

૪૩. તે જ છે, જે તમારા પર પોતાની કૃપા મોકલે છે અને તેના ફરિશ્તાઓ (તમારા માટે દયાની દુઆ કરે છે) જેથી તે તમને અંધકાર (માર્ગથી) કાઢી પ્રકાશિત (માર્ગ) તરફ લઇ જાય અને અલ્લાહ તઆલા ઈમાનવાળાઓ માટે ખૂબ જ દયાળુ છે.

૪૪. જે દિવસે આ લોકો (અલ્લાહ સાથે) મુલાકાત કરશે તેમનું સ્વાગત “સલામ”થી કરવામાં આવશે, તેમના માટે અલ્લાહ તઆલાએ પવિત્ર વળતર તૈયાર કરી રાખ્યું છે.

૪૫. હે પયગંબર! ખરેખર અમે જ તમને સાક્ષી આપનાર, ખુશખબર આપનાર અને સચેત કરનાર, બનાવી મોકલ્યા છે.

૪૬. અને અલ્લાહના આદેશથી તેની તરફ બોલાવવાવાળા અને પ્રકાશિત દીવો (બનાવી મોકલ્યા છે.)

૪૭. તમે ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો, કે તેમના માટે અલ્લાહ તરફથી ખૂબ જ મોટી કૃપા છે.

૪૮. તમે કાફિરો તેમજ મુનાફિકોની વાત ન માનશો અને જે તકલીફ (તેમની તરફથી પહોંચે) તેની પરવા ન કરશો, અલ્લાહ પર ભરોસો કરતા રહો અને અલ્લાહ તઆલા કાર્યની વ્યવસ્થા કરવા માટે પૂરતો છે.

૪૯. હે ઈમાનવાળાઓ! જ્યારે તમે ઈમાનવાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરો, પછી જો હાથ લગાવતા પહેલા જ તલાક આપી દો, તો તેણીઓ માટે કોઇ ઇદ્દતનો સમયગાળો નથી, જેની તમે ગણતરી કરો, બસ! તમે તે જ સમયે તેણીઓને કંઈક આપી દો અને સારી રીતે છોડી દો.

૫૦. હે પયગંબર! અમે તમારા માટે તમારી તે પત્નીઓ હલાલ કરી દીધી છે, જેણીઓને તમે તેમની મહેર આપી ચૂક્યા છો અને તે દાસી પણ, જે અલ્લાહ તઆલાએ તમને ગનીમતના માલમાં આપી અને તમારા કાકાઓની દીકરીઓ, ફોઇઓની દીકરીઓ, મામાઓની દીકરીઓ, માસીઓની દીકરીઓ પણ, જેણીઓએ તમારી સાથે હિજરત કરી છે અને તે ઈમાનવાળી સ્ત્રીઓ પણ, જે પોતાને પયગંબરને સોંપી દે, આ ત્યારે-જ્યારે પયગંબર પોતે પણ તેણી સાથે લગ્ન કરવા ઇચ્છે, આ છૂટ ફક્ત તમારા માટે જ છે અન્ય મુસલમાનો માટે નહીં, અમે સારી રીતે જાણીએ છીએ કે અમે મોમિનો માટે તેમની પત્નીઓ અને દાસીઓ વિશે શું (આદેશ) આપી ચુક્યા છે, (તમને આ છૂટ એટલા માટે આપવામાં આવી છે કે) તમારા માટે કઈ વાંધો ન આવે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરવાવાળો અને ઘણો જ દયાળુ છે.

૫૧. તેમના માંથી જેને તમે ઇચ્છો દૂર રાખો અને જેને ઇચ્છો પોતાની પાસે રાખો અને જુદા રાખ્યા પછી જેની બાબતે ઈચ્છા હોય, પોતાની પાસે બોલાવો, તમારા પર કોઇ ગુનો નથી, આમાં તે વાત શક્ય છે કે તે સ્ત્રીઓની આંખો ઠંડી રહે અને તેઓ નિરાશ ન થાય અને જે કંઈ પણ તમે આપો તેના પર સૌ રાજી રહે, તમારા હૃદયોમાં જે કંઈ પણ છે તેને અલ્લાહ જાણે છે. અલ્લાહ ઘણો જ જ્ઞાની અને ધૈર્યવાન છે.

૫૨. આ (આદેશ આવી ગયા) પછી પણ તમારા માટે બીજી સ્ત્રીઓ હલાલ નથી અને ન તો આ (યોગ્ય) છે કે તેમના બદલામાં બીજી સ્ત્રીઓ સાથે (લગ્ન કરો), ભલેને તેમના ચહેરા સુંદર લાગતા હોય, જો કે દાસીઓ બાબતે તમને પરવાનગી આપવામાં અઆવી છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.

૫૩. હે ઈમાનવાળાઓ! જ્યાં સુધી તમને પરવાનગી આપવામાં ન આવે, તમે પયગંબરના ઘરમાં ન જાઓ, જ્યારે જમવાનું તૈયાર થવાની રાહ ન જુઓ, જો કે જ્યારે તમને (ખાવા માટે) બોલાવવામાં આવે ત્યારે જાઓ અને જ્યારે ખાઇ લો, તો નીકળી જાઓ, ત્યાં જ વાતોમાં વ્યસ્ત ન થઇ જાઓ, પયગંબરને તમારી આ વાતોથી તકલીફ થાય છે, પરંતુ પયગંબર તમારા સન્માનમાં કઈ જ કહેતા ન હતા, પરંતુ અલ્લાહ તઆલા સત્ય વાત કરવામાં કોઇની શરમ રાખતો નથી, જ્યારે તમે પયગંબરની પત્નીઓ પાસે કોઇ વસ્તુ માંગો તો પરદાની પાછળથી માંગો, આ વાત તમારા અને તેમના દિલોની પવિત્રતા માટે છે. તમારા માટે યોગ્ય નથી કે તમે અલ્લાહના પયગંબરને તકલીફ પહોંચાડો અને ન તમારા માટે એ હલાલ છે કે પયગંબરના (મૃત્યુ પછી) પયગંબરની પત્નીઓ સાથે લગ્ન કરો, અલ્લાહની નજીક આ ઘણો જ મોટો ગુનોહ છે.

૫૪. તમે કોઇ વસ્તુને જાહેર કરો અથવા છૂપી રાખો, અલ્લાહ તો દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.

૫૫. તે સ્ત્રીઓ માટે કોઇ ગુનો નથી જો તેઓ પોતાના પિતા, પુત્રો, ભાઇઓ, ભત્રીજાઓ, ભાણિયાઓ અને પોતાની (બહેનપણીની) સ્ત્રીઓ અને પોતાની માલિકી હેઠળની (દાસીઓ) ઘરમાં આવતી હોય અને (હે સ્ત્રીઓ), અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ દરેક વસ્તુ માટે સાક્ષી છે.

૫૬. અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તાઓ પયગંબર ઉપર દરૂદ મોકલે છે, હે ઈમાનવાળાઓ! તમે (પણ) તેમના ઉપર દરૂદ મોકલો અને ખૂબ સલામ મોકલતા રહો.

૫૭. જે લોકો અલ્લાહ અને તેના પયગંબરને તકલીફ આપે છે, અલ્લાહએ તેમના પર દુનિયા અને આખિરતમાં લઅનત કરી છે અને તેમના માટે અત્યંત અપમાનિત કરી દેનારો અઝાબ છે.

૫૮. અને જે લોકો ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને કોઇ કારણ વગર તકલીફ આપે તો તેઓ પોતાના પર ખુલ્લા આરોપ અને ગુનાહનો બોજ ઉઠાવી રહ્યા છે.

૫૯. હે પયગંબર! પોતાની પત્નીઓને, પોતાની દીકરીઓને અને મુસલમાન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના પર પોતાની ચાદર લટકાવી રાખે, તેનાથી તરત જ તેણીઓની ઓળખ થઇ જશે, પછી તેણીઓને સતાવવામાં નહીં આવે અને અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે.

૬૦. જો (હજુ પણ) આ મુનાફિક લોકો અને તે લોકો, જેમના હૃદયોમાં રોગ છે અને તે લોકો જેઓ મદીનામાં ખોટી અફવાઓ ફેલાવનારા છે, છેટા ન રહ્યા, અમે તમને તે લોકો પર પ્રભાવિત કરી દઇશું, પછી તે લોકો થોડાંક દિવસ જ તમારી સાથે આ (શહેર)માં રહી શકશે.

૬૧. આ લોકો પર લઅનત કરી દેવામાં આવી, જ્યાં પણ મળશે પકડી લેવામાં આવશે અને તેમને કતલ કરી દેવામાં આવશે.

૬૨. તેમના પહેલાના લોકો માટે પણ આ જ નિર્ણય નક્કી હતો અને તમે અલ્લાહના નિર્ણયમાં ફેરફાર ક્યારેય નહીં જુઓ.

૬૩. લોકો તમને કયામત વિશે સવાલ કરે છે, તેમને કહી દો કે તેનું જ્ઞાન તો ફક્ત અલ્લાહ પાસે છે, તમને શું ખબર શક્ય છે કે કયામત નજીક માંજ હોય.

૬૪. અલ્લાહ તઆલાએ કાફિરો પર લઅનત કરી છે અને તેમના માટે ભડકેલી આગ તૈયાર કરી રાખી છે.

૬૫. જેમાં તેઓ હંમેશા રહેશે, ન તો તેમનો કોઇ મિત્ર હશે અને ન તો કોઈ તેમની મદદ કરનાર હશે.

૬૬. તે દિવસે તેમના ચહેરા આગમાં ઊંધા કરી દેવામાં આવશે, (અફસોસથી) કહેશે કે કાશ! અમે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરતા.

૬૭. અને કહેશે કે હે અમારા પાલનહાર! અમે અમારા સરદારો અને મોટા લોકોની વાત માની હતી, તેમણે અમને સત્ય માર્ગથી ભટકાવી દીધા.

૬૮. હે પાલનહાર! તું તે લોકોને બમણી સજા આપ અને તેમના પર સખત લઅનત કર.

૬૯. હે ઈમાનવાળાઓ! તે લોકો જેવા ન બની જાઓ, જે લોકોએ મૂસાને તકલીફ આપી હતી, બસ! જે વાત તે લોકોએ કહી હતી તેનાથી અલ્લાહએ તેમને પવિત્ર કરી દીધા અને તે અલ્લાહની નજીક ઇજજતવાળા હતા.

૭૦. હે ઈમાનવાળાઓ! અલ્લાહથી ડરો અને સીધી (સાચી) વાત કરો.

૭૧. જેથી અલ્લાહ તઆલા તમારા કાર્યો સરળ બનાવી દે અને તમારા ગુનાહો માફ કરી દે અને જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરશે તે ભવ્ય સફળતા મેળવશે.

૭૨. અમે પોતાની અમાનતને આકાશો, ધરતી અને પર્વતોને સોંપી, પરંતુ સૌએ તેને ઉઠાવવાથી ઇન્કાર કરી દીધો, તેનાથી ડરી ગયા, (પરંતુ) માનવીએ તેને ઉઠાવી લીધી, તે ઘણો જ જાલિમ અને અજ્ઞાની છે.

૭૩. (આ એટલા માટે) કે અલ્લાહ તઆલા મુનાફિક પુરુષ અને સ્ત્રીઓ તેમજ મુશરિક પુરુષો અને સ્ત્રીઓને સજા આપે અને મોમિન પુરુષ અને સ્ત્રીઓની તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરવાવાળો, દયાળુ છે.