عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Those who set the ranks [As-Saaffat] - Gujarati translation

Surah Those who set the ranks [As-Saaffat] Ayah 182 Location Maccah Number 37

૧. લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ની કસમ!

૨. પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓની.

૩. પછી તેમની જે ઝિકર (કુરઆન)ની તિલાવત કરવાવાળા છે.

૪. નિ:શંક તમારા સૌનો ઇલાહ એક જ છે.

૫. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને તે વસ્તુઓનો પણ, જે તે બન્નેની વચ્ચે છે અને પશ્વિમનો પાલનહાર તે જ છે.

૬. અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.

૭. અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.

૮. તે ઉપરની વાતો સાંભળી જ નથી શકતા અને દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.

૯. જેથી તેઓ ભાગી જાય અને તેમના માટે હંમેશા રહેવાવાળો અઝાબ છે.

૧૦. પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.

૧૧. (હે નબી!) તમે તેમને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.

૧૨. પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.

૧૩. અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો માનતા નથી .

૧૪. અને જ્યારે કોઇ નિશાની જુએ છે, તો તેની મશ્કરી કરે છે.

૧૫. અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.

૧૬. શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે?

૧૭. શું આપણા પૂર્વજોને પણ ઉઠાવવામાં આવશે?

૧૮. તમે તેમને જવાબ આપી દો કે હા (આવું જરૂર થશે) અને તમારૂ અપમાન પણ થશે.

૧૯. તે તો ફક્ત એક સખત ઝટકો હશે, અચાનક તેઓ બધું જ જોવા લાગશે.

૨૦. અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય! આ જ બદલાનો દિવસ છે.

૨૧. (ફરી તેમને કેહવામાં આવશે) આ જ નિર્ણયનો દિવસ છે, જેને તમે જુઠલાવતા હતા.

૨૨. (ફરિશ્તાઓને કહેવામાં આવશે કે) જાલિમ લોકોને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, બધાને એકઠા કરો

૨૩. (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.

૨૪. અને તેમને ઉભા રાખો, તેમને સવાલ પુછવામાં આવશે.

૨૫. તમને શું થઇ ગયું છે કે (આજે) તમે એકબીજાની મદદ કેમ નથી કરતા?

૨૬. પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા હશે.

૨૭. તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.

૨૮. (કમજોર લોકો મોટા લોકોને) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.

૨૯. (મોટા લોકો) જવાબ આપશે કે ના (આવું નથી) પરંતુ તમે જ ઈમાન લાવનારા ન હતા.

૩૦. અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.

૩૧. આજે અમારા પાલનહારનીએ વાત અમારા માટે સાબિત થઇ ગઈ કે અમે અઝાબનો સ્વાદ ચાખીશું.

૩૨. બસ! અમે તમને ગુમરાહ કર્યા કારણકે અમે પોતે જ ગુમરાહ હતા.

૩૩. આજના દિવસે તો (બધા જ) અઝાબમાં બરાબરના ભાગીદાર હશે.

૩૪. અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.

૩૫. જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ ઇલાહ નથી, તો આ લોકો ઘમંડ કરવા લાગતા.

૩૬. અને કહેતા હતા કે શું અમે એક પાગલ કવિની વાત માની લઇને અમારા મઅબૂદોને છોડી દઇએ?

૩૭. જો કે તે (પયગંબર) તો સત્ય લઈને લાવ્યા અને તેણે દરેક પયગંબરોને પુષ્ટિ કરી હતી.

૩૮. (ફરી તેમને કહેવામાં આવશે) કે આજે તમારે દુ:ખદાયી અઝાબનો સ્વાદ ચાખવો પડશે.

૩૯. તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.

૪૦. પરંતુ અલ્લાહ તઆલાના મુખલિસ (નિખાલસ) બંદાઓ (આ અઝાબથી) સુરક્ષિત હશે.

૪૧. તેમના માટે નક્કી કરેલ રોજી હશે.

૪૨. અર્થાત (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.

૪૩. નેઅમતો વાળી જન્નતોમાં,

૪૪. આસનો પર એકબીજાની સામે બેઠા હશે.

૪૫. સાફ શરાબના પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.

૪૬. જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.

૪૭. ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.

૪૮. અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.

૪૯. એવી, જેવું કે છૂપાયેલા ઇંડા હોય.

૫૦. (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,

૫૧. તેમના માંથી એક કહેશે કે (દુનિયામાં) મારો એક મિત્ર હતો,

૫૨. જે મને કહેતો હતો કે શું તું પણ (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી બની ગયો?

૫૩. શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે?

૫૪. પછી તે કહેશે કે શું તમે તેની દશા જોવા ઇચ્છો છો?

૫૫. જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.

૫૬. કહેશે, અલ્લાહ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.

૫૭. જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.

૫૮. પછી (ખુશીથી પોતાના દિલમાં કહેશે) શું હવે અમે મૃત્યુ પામવાના જ નથી?

૫૯. અમારે પ્રથમ વખત જ મૃત્યુ પામવાના હતા, હવે અમને અઝાબ પણ નહીં થાય.

૬૦. પછી તો આ ભવ્ય સફળતા છે.

૬૧. આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.

૬૨. શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)ના વૃક્ષની?

૬૩. જેને અમે જાલિમ લોકો માટે એક અજમાયશ બનાવ્યું છે.

૬૪. તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.

૬૫. જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.

૬૬. (જહન્નમના લોકો) આ જ વૃક્ષને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.

૬૭. પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.

૬૮. પછી તે સૌને જહન્નમ તરફ ફેરવવામાં આવશે.

૬૯. તે લોકોએ પોતાના પૂર્વજોને ગુમરાહ જોયા.

૭૦. અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.

૭૧. જો કે તેમના પહેલાના ઘણા લોકો ગુમરાહ થઇ ગયા હતા.

૭૨. જેમની પાસે અમે ડરાવનાર મોકલ્યા હતા.

૭૩. હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.

૭૪. (તે લોકો માંથી) ફક્ત નિખાલસ બંદાઓ જ સુરક્ષિત રહ્યા.

૭૫. અને અમને નૂહએ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.

૭૬. અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.

૭૭. અને ફક્ત તેમની સંતાનને બાકી રાખી.

૭૮. અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.

૭૯. નૂહ પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.

૮૦. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૮૧. તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

૮૨. પછી અમે બીજાને ડુબાડી દીધા.

૮૩. અને તે (નૂહનું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ પણ હતા.

૮૪. જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર દિલ લઈને આવ્યા.

૮૫. તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો?

૮૬. શું તમે અલ્લાહ ને છોડીને ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો?

૮૭. તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો?

૮૮. પછી (એકવાર) તેમણે તારાઓ તરફ એક નજર કરી.

૮૯. અને કહ્યું કે હું બિમાર છું.

૯૦. આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.

૯૧. (ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા?

૯૨. તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.

૯૩. પછી જમણા હાથ વડે તેમને ખૂબ મારવા લાગ્યા.

૯૪. (પાછા આવીને કોમે જ્યારે આ સ્થિતિ જોઈ) દોડતા દોડતા ઈબ્રાહીમ પાસે આવ્યા.

૯૫. (ઇબ્રાહીમે) કહ્યું, શું તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે પોતે જ કોતરો છો.

૯૬. જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.

૯૭. તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.

૯૮. તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.

૯૯. અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.

૧૦૦. હે મારા પાલનહાર! મને સદાચારી સંતાન આપ,

૧૦૧. તો અમે તેમને એક ધૈર્યવાન બાળકની ખુશખબરી આપી.

૧૦૨. પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા! હું સપનામાં તને ઝબહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.

૧૦૩. જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) કપાળે ઊંધો પાડી દીધો,

૧૦૪. તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ!

૧૦૫. ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૧૦૬. ખરેખર આ ખુલ્લી કસોટી હતી.

૧૦૭. અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,

૧૦૮. અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

૧૦૯. ઇબ્રાહીમ પર સલામ છે.

૧૧૦. અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૧૧૧. નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

૧૧૨. અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.

૧૧૩. અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.

૧૧૪. નિ:શંક અમે મૂસા અને હારૂન પર ઘણો જ ઉપકાર કર્યો.

૧૧૫. અને તેમને તથા તેમની કોમને મોટા દુઃખથી છુટકારો આપ્યો.

૧૧૬. અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.

૧૧૭. અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.

૧૧૮. અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.

૧૧૯. અને અમે તે બન્નેનું સારૂ નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

૧૨૦. કે મૂસા અને હારૂન પર સલામ થાય.

૧૨૧. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૧૨૨. નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

૧૨૩. નિ:શંક ઇલ્યાસ પણ પયગંબરો માંથી હતા.

૧૨૪. જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી?

૧૨૫. શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.

૧૨૬. તે અલ્લાહને, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.

૧૨૭. પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ! તેઓને જરૂર (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.

૧૨૮. અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત રહેશે.)

૧૨૯. અમે (ઇલ્યાસ) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

૧૩૦. ઇલ્યાસ પર સલામ થાય.

૧૩૧. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

૧૩૨. નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.

૧૩૩. નિ:શંક લૂત પણ પયગંબરો માંથી હતા,

૧૩૪. અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને (અઝાબથી) છુટકારો આપ્યો,

૧૩૫. તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.

૧૩૬. પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.

૧૩૭. અને તમે (તે ઉજ્જડ વસ્તી) પાસેથી સવારના સમયે પસાર થાવ છો.

૧૩૮. અને રાતના સમયે પણ (પસાર થાવ છો), શું તો પણ સમજતા નથી?

૧૩૯. અને નિ:શંક યૂનુસ પયગંબરો માંથી હતા.

૧૪૦. જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.

૧૪૧. પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.

૧૪૨. તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.

૧૪૩. બસ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,

૧૪૪. તો કયામત સુધી માછલીના પેટમાં જ રહેતા.

૧૪૫. બસ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.

૧૪૬. અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.

૧૪૭. અને (ત્યારબાદ) અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ (પયગંબર બનાવી) મોકલ્યા.

૧૪૮. બસ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.

૧૪૯. તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?

૧૫૦. અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું?

૧૫૧. જાણી લો કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.

૧૫૨. કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.

૧૫૩. શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી?

૧૫૪. તમને શું થઇ ગયું છે? કેવી વાતો કહેતા ફરો છો?

૧૫૫. શું તમે સમજતા પણ નથી?

૧૫૬. અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે?

૧૫૭. તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.

૧૫૮. અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકોને)અઝાબ સામે રજૂ કરવામાં આવશે.

૧૫૯. જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.

૧૬૦. અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય. (જેઓ આવા આરોપ લગાવતા નથી)

૧૬૧. ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,

૧૬૨. આ (નિખાલસ બંદાઓને) અલ્લાહ વિરૂદ્વ ફિતનામા નાખી શકતા નથી.

૧૬૩. જે જહન્નમમાં રહેવાવાળો છે, તેના સિવાય.

૧૬૪. અને (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.

૧૬૫. અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.

૧૬૬. અને અમે અલ્લાહની તસ્બીહ કરનાર છે.

૧૬૭. અને આ (કાફિર લોકો) પહેલા તો આવું કહેતા હતા,

૧૬૮. કે જો અમારી પાસે પહેલાના લોકોની જેમ કોઈ શિખામણ હોત.

૧૬૯. તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.

૧૭૦. (અને જ્યારે કુરઆન આવી ગયું) તો તેઓએ ત્તેનો ઇન્કાર કરવા લાગ્યા, બસ! હવે નજીકમાં જ જાણી લેશે.

૧૭૧. અને અમારું વચન, જે પયગંબર છે, તેમના હકમાં પહેલાથીજ આદેશ મળી ગયો છે.

૧૭૨. કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.

૧૭૩. અને અમારું જ લશ્કર વિજય મેળવશે.

૧૭૪. હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.

૧૭૫. (હે પયગંબર!) તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.

૧૭૬. શું આ લોકો અમારા અઝાબની ઉતાવળ કરી રહ્યા છે?

૧૭૭. સાંભળો! જ્યારે અમારો અઝાબ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે, જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.

૧૭૮. તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.

૧૭૯. અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.

૧૮૦. પવિત્ર છે, તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી પાક છે. (જેનું મુશરિક લોકો વર્ણન કરે છે.)

૧૮૧. પયગંબરો પર સલામ છે.

૧૮૨. અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.